હિન્ડનબર્ગનો રિપોર્ટ સાચો ? 'અદાણી ગ્રુપ' જેનો સતત બચાવ કરતુ રહ્યું તે વિનોદ 'અદાણી જૂથ'ના પ્રમોટર-માલિક હોવાના પુરાવા મળ્યા...

અગ્રણી અખબાર 'ગુજરાત સમાચાર'ના પુરાવા સાથેના સ્ફોટક રિપોર્ટથી ખળભળાટ, ગોદી મીડિયાની વધુ એક પોલ ખુલી

હિન્ડનબર્ગનો રિપોર્ટ સાચો ? 'અદાણી ગ્રુપ' જેનો સતત બચાવ કરતુ રહ્યું તે વિનોદ 'અદાણી જૂથ'ના પ્રમોટર-માલિક હોવાના પુરાવા મળ્યા...

WND Network.Bhuj (Kutch) :  અદાણી ગ્રુપ અંગેના  હિન્ડનબર્ગના અહેવાલમાં જેમનો 154 વખત ઉલ્લેખ કરવામાં આવેલો છે અને 'અદાણી ગ્રુપ' શરૂઆતથી જેના સાથે કોઈ લેવા નથી તેવો દાવો કરી રહ્યું છે તેવા વિનોદ જ અદાણી જૂથના પ્રમોટર-માલિક હોવાના પુરાવા મળ્યા છે. ગુજરાતના અગ્રણી અખબાર 'ગુજરાત સમાચાર' દ્વારા આ અંગેનો આધાર-પુરાવાવાળો સ્ફોટક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. જેને પગલે ગોદી મીડિયાની પણ પોલ ખુલી ગઈ છે. જાહેરાત લઈને 'અદાણી ગ્રુપ' અંગેના સાચા કે ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ પબ્લિશ કરવાને બદલે અદાણીની પ્રેસનોટ છાપી ખાનારા મીડિયાને 'ગુજરાત સમાચાર'ના અહેવાલથી તમાચો પડ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.બીજી તરફ સોમવારે વધુ એક વખત અદાણી સમૂહની કંપનીઓના શેર તૂટ્યા હતા. જેને પગલે તેની કુલ માર્કેટ કેપ ઘટીને 6.81 લાખ કરોડ થઈ ગઈ હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેર 9 ટકા તૂટયા હતા. 

હિન્ડનબર્ગે રજૂ કરેલા અહેવાલમાં જેમની ભૂમિકા સૌથી શંકાસ્પદ ગણાવાઈ છે તેવા વિનોદ અદાણી સાયપ્રસનો પાસપોર્ટ ધરાવે છે અને દુબઈમાં રહીને ભારત સ્થિત અદાણી જૂથને ફાયદો કરાવી રહ્યા છે. અગ્રણી ન્યૂઝ પેપર 'ગુજરાત સમાચાર' દ્વારા આ અંગેનો અખબારી રિપોર્ટ પ્રસિદ્ધ થતા જ ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટમાં પુરાવા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી જૂથ જેની સાથે કોઈ લેવા-દેવા નથી એવો દાવો કરે છે તેવા વિનોદ અદાણી જ 'અદાણી ગ્રુપ'ના પ્રમોટર-માલિક છે. જેના પુરાવા સ્વરૂપે રિપોર્ટમાં વિનોદ અદાણીને પ્રમોટર દર્શાવતો કંપનીનો લેટરનો ફોટો તેમજ BSEની વેબસાઈટ ઉપર અદાણીએ જાહેર કરેલી વિગતોનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે. 

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ, વિનોદ અદાણી એક તરફ વિદેશમાં કંપનીઓ ધરાવે છે અને વિદેશી કંપનીઓના માધ્યમથી ભારતમાં અદાણી જૂથની કંપનીઓ સાથે સીધી નાણાકીય લેવડદેવડ પણ થઈ રહી છે. વિનોદ અદાણી જૂથની કંપનીઓમાં નાણા ઠાલવી રહ્યા છે તે છતાં ગૌતમ અદાણી તેની સાથે કોઈ સંબંધ નથી એવો બચાવ કરે છે તે બાબતે ચર્ચા જાગી છે. સેબીના દસ્તાવેજો પ્રમાણે ગૌતમ અદાણી, વિનોદ અદાણી અને રાજેશ અદાણી 'અદાણી એન્ટરપ્રાઈઝ'ના માલિક અને પ્રમોટર છે. સાયપ્રસનો પાસપોર્ટ ધરાવતા વિનોદ અદાણી દુબઈમાં રહીને ભારત સ્થિત અદાણી જૂથને ફાયદો કરાવી રહ્યા છે અને હિન્ડનબર્ગે રજૂ કરેલા અહેવાલમાં એની ભૂમિકા સૌથી શંકાસ્પદ ગણાવાઈ છે. હિન્ડેનબર્ગમાં વિનોદ અદાણીના નામનો ઉલ્લેખ ૧૫૪ વખત કરાયો છે, જ્યારે ગૌતમ અદાણીનો ઉલ્લેખ ૫૦ વખત થયો છે. તે પરથી હિન્ડેનબર્ગ સાબિત કરવા માગે છે કે આખા આર્થિક વહીવટમાં વિનોદ અદાણી માસ્ટરમાઈન્ડ છે

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ગૌતમ અદાણી જૂથ દ્વારા તેના બચાવમાં એવો કક્કો ઘૂંટવામાં આવી રહ્યો છે કે જૂથની ભારતની કંપનીઓને વિનોદ અદાણી સાથે કોઈ સંબંધ નથી. જોકે દસ્તાવેજી પુરાવાના આધારે ચોક્કસ પુરવાર થાય છે કે સાયપ્રસનો પાસપોર્ટ અને દુબઈમાં નિવાસ ધરાવતા અદાણી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની થકી નાણાકીય વ્યવહારો કરતા વિનોદ અદાણી હકીકતે ભારતની કંપનીઓના પ્રમોટર છે. ભારતની લીસ્ટેડ કંપનીઓના શેરમાં પણ તેમનો પ્રમોટર તરીકે એક મોટો હિસ્સો છે. હિન્ડેનબર્ગના અને એ પછી ફોર્બ્સના બન્ને અહેવાલ વિનોદ અદાણી ગુ્રપ વતી વિદેશમાં સેકડો કંપનીઓ ચલાવે છે. ટેક્સ હેવનમાં કંપનીઓ ચલાવે છે અને વિનોદ અદાણીની કંપનીઓ વતી મોટાભાગના નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે. જોકે, વિનોદ અદાણીની ભૂમિકા અંગે ભારતમાં કંપની સંપૂર્ણ મૌન છે. એ સ્વીકારવા જ તૈયાર નથી કે વિનોદ અદાણી પ્રમોટર જૂથના સભ્ય છે. વિનોદ અદાણી અંગે મૌન ધારણ કરી અદાણી જૂથ શું છુપાવવા માંગે છે તે રહસ્યમય ઘેરું બન્યું છે. હિન્ડેનબર્ગના તા.૨૪ જાન્યુઆરીના રિપોર્ટમાં નાણાકીય વ્યવહારો, રાઉન્ડ ટ્ર્રીપીંગ, શેર પ્રાઈસ મેનીપ્યુલેશન, શેર પાર્કિંગ માટે વિનોદ અદાણીની માલિકીની કે સહયોગી કંપનીઓ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચારના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હકીકત અને દસ્તાવેજી પુરાવા જોકે સ્પષ્ટ કરે છે કે વિનોદ અદાણી, અદાણી જૂથની સ્થાપના કરનાર વ્યક્તિઓ (પ્રમોટર)માંથી એક છે અને સૌથી મહત્વનું કે અદાણી એન્ટરપ્રાઈસ અને અદાણી ટોટલ ગેસની શેરહોલ્ડીંગ પેટર્નમાં નોંધ છે કે વિનોદ અદાણી જૂથથી મહત્વનો લાભ મેળવનાર (સીગ્નીફિકન્ટ બેનીફીસીયરી) વ્યક્તિઓમાંથી એક છે.

જોકે, ગૌતમ અદાણી જૂથ દ્વારા ૪૧૫ પાનાના હિન્ડેનબર્ગને આપેલા રદિયામાં વિનોદ અદાણી અંગે 'અમારે કોઈ લેવાદેવા નહી' એમ જણાવી હાથ ધોઈ નાખવામાં આવ્યા છે. આ પછી કંપનીએ પોતાનું દેવું ઘટાડશે, કંપની પાસે પુરતી નાણકીય ક્ષમતા છે, કંપની દેવું ભરવામાં સક્ષમ છે એવા અનેક નિવેદન આવ્યા છે પણ વિનોદ અદાણી અંગે એક શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી.

સેબી અને સરકાર, બંનેનું ભેદી મૌન :- ગુજરાત સમાચારના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દસ્તાવેજી પુરાવા ઉપરથી સ્પષ્ટ છે કે સબંધિત વ્યક્તિ તરીકે અદાણી જૂથ જેનો સ્વીકાર કરવા તૈયાર નથી એ વિનોદ અદાણી મૂળભૂત રીતે કંપનીના પ્રમોટર છે અને એક લાભાર્થી પણ છે. સામાન્ય રીતે બીજી કોઈ કંપનીના આવું તથ્ય બહાર આવે તો સેબી તરત જ તેની સામે તપાસ શરૂ કરે છે, કંપની પાસેથી આ અંગેની વિગતો મેળવે છે પણ ગૌતમ અદાણી જૂથ સામેના આક્ષેપો અને તેને સત્ય પુરવાર કરતા પુરાવા જાહેરમાં હોવા છતાં સેબીએ કોઈ કાર્યવાહી કરી નથી. બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સેબીના નિયમો અને કાયદાનું અર્થઘટન અન્ય કંપનીઓ માટે અલગ છે જયારે અદાણી જૂથ માટે અલગ છે. અદાણી જૂથ અને હિન્ડેનબર્ગના અહેવાલ આવ્યાના એક મહિના પછી જૂથના દરેક શેરના ભાવ ઘટી ગયા છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૨ લાખ કરોડનું ધોવાણ થયું છે પણ હજી ભારત સરકારે કે સરકારની કોઇપણ એજન્સીએ કથિત ગેરરીતિ અંગે તપાસ શરુ કરી નથી. બીજી તરફ, હિન્ડેનબર્ગ અને બાદમાં ફોર્બ્સના રિપોર્ટમાં જૂથના દુબઈ સ્થિત સ્થાપક વિનોદ અદાણી અંગે ઉઠાવેલા સવાલો અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. વિનોદ અદાણી અંગે જૂથ વતી જે મૌન ધારણ કરવામાં આવ્યું છે તે વધારે અકળાવી રહ્યું છે અને તેનાથી જૂથની પ્રતિા દાવ ઉપર લાગેલી છે.

અખબારનો દાવો, વિનોદ અદાણી સાથેના સંબંધો સ્વીકારે તો હિન્ડેનબર્ગનો દાવો સાચો સાબિત થાય :- અદાણી જૂથ અત્યારે એશિયાના ટોચના બેન્કરો સાથે મસલત કરવા માટે રોડ શો કરી રહ્યું છે. ઉદ્દેશ છે કે જૂથની નાણકીય સ્થિતિ મજબૂત છે અને દેવું સમયસર ભરી શકે છે. પણ, જૂથ વિનોદ અદાણી પણ એક માલિક છે, કંપની સાથે જોડાયેલા છે તે સ્વીકારવા તૈયાર નથી. બજારના સુત્રોએ જણાવ્યું હતું કે વિનોદ અદાણી સાથેના સબંધો જાહેરમાં સ્વીકારી લેવામાં આવે તો અદાણીની ભારતની કંપનીઓ ઉપર ગાજ તૂટી પડે. વિનોદ અદાણી જ કંપની માટે વિદેશથી નાણાનું સંચાલન કરતા આવ્યા છે. વિનોદ અદાણી જ કંપની વતી, અને કંપનીની સહયોગી કંપનીઓની માયાજાળ રચી શેરમાં ખરીદ વેચાણ કરી શેરના ભાવ વધારી રહ્યા હતા. ગૌતમ અદાણી જો આ હકીકતનો સ્વીકાર કરે તો હિન્ડેનબર્ગનો અહેવાલ સાચો પુરવાર થઇ જાય.

શેર બજારના ધબડકાને બદલે અદાણી પોર્ટના વિક્રમી કાર્ગોના ન્યૂઝ કચ્છમિત્રમાં કેમ પ્રસિદ્ધ થયા ? :- અદાણી સમૂહને લઈને શરૂઆતથી જ મીડિયાની ભૂમિકા સોફ્ટ કોર્નરવાળી જોવા મળી રહી છે. એક તરફ જયાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ વગેરે જેવા મેઈન સ્ટ્રીમના અગ્રણી અખબારો મંગળવારે તેમની આવૃત્તિમાં અદાણી સમૂહ, શેર બજારની સ્થિતિ ઉપર અખબારી અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે ત્યાં જિલ્લા કક્ષાના કચ્છના ન્યૂઝ પેપર કચ્છમિત્ર દ્વારા અદાણી પોર્ટ દ્વારા હેન્ડલ કરવામાં કાર્ગો પરિવહનની સ્ટોરી કવર કવર કરવામાં આવે છે. 'કચ્છમિત્ર'નું સંચાલન સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રકાશન દ્વારા થાય છે. આ ટ્રસ્ટમાં થોડા સમય પહેલા 'અદાણી ગ્રુપ'ના પ્રણવ અદાણીને 'સૌરાષ્ટ્ર ટ્રસ્ટ'ના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.