Paper Leak Modi Govt : પેપર લીક મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવેલી ગુજરાતની એજન્સી એજ્યુટેસ્ટ સાથે PM મોદી સહિતના ભાજપના નેતાઓનું કનેક્શન

ગુજરાતની એજ્યુટેસ્ટના સ્થાપક સુરેશચંદ્ર આર્ય એક હિન્દુ સંગઠનના પ્રમુખ છે અને વડાપ્રધાન મોદી તેમના કાર્યક્રમોમાં હાજરી આપે છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિનીત આર્ય વર્ષ 2017માં જેલમાં જવા છતાં તેની એજન્સીને પરીક્ષાના કોન્ટ્રાક્ટ મળતા હતા

Paper Leak Modi Govt : પેપર લીક મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવેલી ગુજરાતની એજન્સી એજ્યુટેસ્ટ સાથે PM મોદી સહિતના ભાજપના નેતાઓનું કનેક્શન

તસ્વીરમાં આર્યસમાજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે સુરેશચંદ્ર  (રાઉન્ડમાં, મોદીની ડાબી તરફ ) જોઈ શકાય છે

WND Network.New Delhi : ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં પેપર લીકને ધ્યાનમાં રાખીને, યુપીની ભાજપ શાસિત યોગી સરકારે પરીક્ષાનું સંચાલન કરતી અમદાવાદ સ્થિત કંપની એજ્યુટેસ્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરી દીધી છે ત્યારે આ કંપનીના માલિકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભાજપના અનેક મોટા માથા સાથેનું કનેક્શન બહાર આવ્યું છે. આ કંપનીને ભાજપના મોટા નેતાઓના આશીર્વાદ હોવાને કારણે જ અનેક વિવાદો છતાં તેને ભાજપની સરકારો તરફથી કોન્ટ્રાકટ મળતા હતા. આ કંપની ઘણા રાજ્યોમાં પેપર લીક અને ભરતી કૌભાંડના આરોપોથી ઘેરાયેલી છે. તેના સ્થાપક નિયામક સુરેશ ચંદ્ર આર્ય સર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા નામના અગ્રણી હિન્દુ સંગઠનના પ્રમુખ છે. તેમના કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ ભાગ લે છે. સુરેશચંદ્રના પુત્ર, એજ્યુટેસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર વિનીત આર્યને વર્ષ 2017માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે, તેમ છતાં, કેન્દ્રની મોદી સરકારની સંસ્થા અને ઘણા રાજ્યોની ભાજપ સરકારો તેને પરીક્ષાઓ લેવા માટે કોન્ટ્રાક્ટ આપતી રહી છે. 

આ કંપની ગુજરાતમાં નેશનલ લૉ યુનિવર્સીટી, મહેસાણા ડીસ્ટ્રીકટ કો-ઓ. બેન્ક સહીત ઉત્તરપદેશમાં ગૌણ સેવા પસંદગી મંડળ, IIT તિરુચેલ્લાપલ્લી, રાજસ્થાન કેન્દ્રીય વિદ્યાલય, પાવર સિસ્ટમ ઓપરેશન, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ પુણે યુનિવર્સીટી, આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિતની અનેક સરકારી સંસ્થાઓ માટે ભરતી પરીક્ષા લેવાનું કામ કરી ચુકી છે. 

તાજેતરમાં જયારે યુપીની યોગી સરકારે ત્યાંની પોલીસની કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાને મામલે આ કંપની ઉપર કાર્યવાહી કરી ત્યારે ફરી એક વખત આ એજન્સી ચર્ચામાં આવી છે. પરીક્ષાઓ લેવામાં ગરબડી ઉપરાંત અનેક અનિયમિતતા છતાં આ એજન્સીને જ કેમ કોન્ટ્રાકટ મળતા રહ્યાં છે એ મામલે  ઇન્વેસ્ટિગેશન કરતા કેટલીક સ્ફોટક માહિતી અને ફોટાઓ બહાર આવ્યા છે. જેને લઈને સ્પષ્ટ થાય છે કે, ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તેના માલિકોને સંબંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ગુજરાતના રાજ્યપાલ અને અનેક ભાજપના નેતાઓ તેમના કાર્યક્રમમાં જતા જોવા મળેલા છે. 

મોદી જેના અધ્યક્ષ છે તે કેન્દ્ર સરકારની સંસ્થા CSIR તો પરીક્ષાઓ માટે આઠ કરોડનો કોન્ટ્રાકટ આપેલો : સતત લીકેજ અને વિવાદમાં સપડાયેલી ગુજરાતની આ એજન્સીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેના અઘ્યક્ષ છે તે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (Council of Scientific and Industrial Research - CSIR ) દ્વારા 19મી ઓક્ટોબર,2023ના રોજ સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે આઠ કરોડનો કોન્ટ્રાકટ આપ્યો હતો. મોદીની અધ્યક્ષતા વળી આ એજન્સીએ કોન્ટ્રાકટ આપ્યાના બીજા જ દિવસે બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિ દ્વારા પરીક્ષામાં ગરબડી અને અનિયમિતતા સંદભૅ ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમ છતાં દોઢ મહિના પછી આ એજન્સી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ માટે ભરતીનો જે આઠ કરોડનો કોન્ટ્રાકટ મળ્યો હતો તેના માટે પ્રક્રિયા શરુ કરે છે. અહીં તમને ફરીથી જણાવી દઈએ કે આ સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. અને આ સંસ્થા પીએમ મોદીના હાથ નીચેના મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી હેઠળ આવે છે. PMOના રાજ્યકક્ષાના મંત્રી ભાજપના નેતા જીતેન્દ્ર સિંહ તેના વાઇસ પ્રેસિડેન્ટ છે. 

એજ્યુટેસ્ટ દ્વારા કરવામાં આવેલી આ ભરતી પ્રક્રિયામાં પણ ગરબડીની વાત બહાર આવી હતી. કુલ 444 પોસ્ટ માટે દેશભરમાં ઓનલાઇન પ્રક્રિયા થકી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઉત્તરાખંડના એક પરીક્ષા સેન્ટર ઉપર તો પોલીસે દરોડો પણ પાડ્યો હતો. જો કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા આ અંગે સાફ ઇન્કાર કરવામાં આવ્યો હતો. જે એજન્સીને બિહારમાં ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય તેને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી સંસ્થા કોન્ટ્રાકટ આપતી હોય અને મોદી સાહેબને ખબર ન હોય તે વાત નામને ગળે ઉતરે છે ? 

માનસિક રીતે અસ્વસ્થ્ય અને હતાશ વ્યક્તિની એજન્સીને શા માટે પરીક્ષા લેવાના કોન્ટ્રાકટ આપ્યા હશે ? : વર્ષ 2017માં બિહારમાં સરકારી ભરતી કરનારા બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનનું પેપર લીક થયું હતું. જેના માટે તે વખતે બિહાર પોલીસની SIT દ્વારા કમિશનના અધ્યક્ષ IAS સુધીર કુમારની સાથે પ્રશ્ન પેપર છાપનારી કંપની કોન્ફીસેક પ્રાયવેટ લિમિટેડના ડિરેક્ટર વિનીત આર્યને પણ પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. થોડા સમય પછી વિનીત જામીન ઉપર જેલની બહાર આવ્યો હતો. ત્રણ વર્ષ પછી જયારે જામીનની મુદત વધારવા માટે વિનીતે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે તેણે પોતાને માનસિક રીતે અસ્વસ્થ્ય હોવાનું કહીને તે હતાશ થઇ ગયો છે અને વારેઘડી આત્મહત્યા કરવાના વિચાર આવે છે તેવી કોર્ટ સમક્ષ રજૂઆત કરીને જામીન ઉપર બહાર જ રહ્યો હતો. છતાં આવા મેન્ટલી ફેલ વ્યક્તિની એજન્સીને હજારો-લાખો બેરોજગાર શિક્ષિત યુવાની પરીક્ષા લેવા માટે ભાજપની સરકારો સતત કામ આપતી રહી હતી. 

આર્યસમાજ નામની સંસ્થા સાથે જોડાયેલો છે એજ્યુટેસ્ટ એજન્સીના માલિકોનો પરિવાર : એજ્યુટેસ્ટના સ્થાપક નિર્દેશક સુરેશ ચંદ્રા સર્વદેશ આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ છે. તેઓ ફેબ્રુઆરી 2016થી આ પદ સંભાળી રહ્યા છે. આ સંસ્થા દયાનંદ સરસ્વતી દ્વારા શરૂ કરાયેલ આર્ય સમાજને આગળ ધપાવવાનો દાવો કરે છે. સંસ્થાની વેબસાઇટ અનુસાર, 'સર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભાની સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદ જી મહારાજ (સ્વામી દયાનંદના અનુયાયી) દ્વારા સમગ્ર વિશ્વમાં આર્ય સમાજ સંસ્થાના યોગ્ય વહીવટ માટે કરવામાં આવી હતી.' 

ફેબ્રુઆરી 2023માં નવી દિલ્હી ખાતે દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ય સમાજના આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સાથે સુરેશચંદ્ર આર્ય મંચ પર હાજર હતા. મોદીએ તેમના ભાષણમાં સુરેશચંદ્રનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદી ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કિશન રેડ્ડી, મીનાક્ષી લેખી અને અર્જુન રામ મેઘવાલ જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ આ પ્રોગ્રામમાં હાજર હતા. આ કાર્યક્રમનો વિગતવાર અહેવાલ વડાપ્રધાન મોદીની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ ફોટા અને વિડીયો સાથે ઉપલબ્ધ છે.

માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષ 2018 માં, ભાજપ અને આરએસએસના ઘણા વરિષ્ઠ નેતાઓએ સભા દ્વારા આયોજિત ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા હતા અને સુરેશચંદ્ર આર્યએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, મનોહર લાલ ખટ્ટર, સુધાંશુ ત્રિવેદી, મનોજ તિવારી, વિજય ગોયલ અને મીનાક્ષી લેખી સહિત ઘણા તત્કાલીન કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત બાબા રામદેવ સહિત અનેક પ્રભાવશાળી લોકો અને મોટી સંખ્યામાં સાધુ સંતોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

એજ્યુટેસ્ટની વેબસાઈટ પરની પ્રોફાઇલ મુજબ, સુરેશચંદ્ર જ આ કંપનીના કર્તાહર્તા છે. ગુજરાતના સાણંદમાં આયોજિત કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) કાર્યક્રમનું ઉદ્ઘાટન સુરેશચંદ્ર આર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સાથે વિનીત આર્ય, તેની પત્ની અને એજ્યુટેસ્ટ ડિરેક્ટર જયા આર્ય પણ હાજર રહ્યા હતા.