રાજવી કુટુંબના મોભી મ.કુ.હનુમંતસિંહે પતરી ઝીલી, કોર્ટને અવગણી પ્રીતિદેવીએ પણ વિધિ કરી, જાણો શું થયું આજે માતાના મઢમાં...
વર્ષો બાદ રાજ પરિવારની ત્રણ પેઢીની હાજરીમાં દાયકાઓથી ચાલતી પરંપરાનું પાલન થયું
WND Network.Bhuj (Kutch) :- લાંબા વિવાદ બાદ અંતે માતાના મઢ ખાતે આસો નવરાત્રીના આઠમે નોરતે સોમવારે સવારે અમૃત ચોઘડિયામાં કચ્છના રાજવી પરિવારના મોભી એવા મહારાજકુમાર હનુવંતસિંહજી જાડેજા દ્વારા પતરી ઝીલવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પતરી વિધિ અંગે ગુજરાત હાઇકોર્ટ તેમજ ભુજની કોર્ટના ચુકાદા પછી ભુજના રણજિતવિલાસ પેલેસની ચામર-પતરી વિધિ અંગેની જાહેરાતને પગલે મામલો વધુ ગૂંચવાયો હતો. જો કે આજે દાયકાઓથી ચાલતી આ પરંપરામાં પહેલી વખત બે વાર વિધિ કરવામાં આવી છે. મ.કુ. હનુમંતસિંહજી જાડેજા દ્વારા જાગીરના આગેવાનોની સહમતી અને ઉપસ્થિતિ વચ્ચે તેમણે પતરી ઝીલી હતી. અને તેમના ગયા પછી બે કલાક બાદ પ્રીતિદેવી પણ આવ્યા હતા અને કોર્ટના હુકમને અવગણીને પતરી ઝીલવાની વિધિ કરી હતી. જેને પગલે આ સમગ્ર મામલામાં કન્ટેમ્ટ ઓફ કોર્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયાની સંભાવના વધી ગઈ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2021માં ભુજ કોર્ટે કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને વિધિ કરવા અંગેનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવેલો છે. અને ત્યારથી હાઇકોર્ટ અને ભુજની કોર્ટના હુકમનું અર્થઘટન પોતાની રીતે કરવામાં આવતા રાજવી કુટુંબ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે સોમવારે સવારે મ.કુ.હનુમંતસિંહજી જાડેજાએ ચાચરના ચોકમાંથી માતાના મઢ મંદિર ખાતે પ્રયાણ કર્યું હતું. અને સવારે અમૃત કાળ દરમિયાન 6.55 વાગે પતરી ઝીલી હતી. માત્ર 15 સેકન્ડમાં જ તેમણે પતરી ઝીલીને આ વર્ષો જૂની પરંપરાને આગળ વધારી હતી. ઘણા વર્ષો પછી કચ્છના રાજવી પરિવારની ત્રણ ત્રણ પેઢી આ વખતે હાજર રહી હતી. વિધિ સંપન્ન કર્યા બાદ મઢના રાજાબાવા દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમની સાથે સિનિયર એડવોકેટ યોગેશ ભંડારકર સહીત કવિ પબુ ગઢવી 'પુષ્પ' ઉપરાંત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રાજવી પરિવારના મોભી એવા મ.કુ. હનુમંતસિંહજી જાડેજાના કાફલાના ગયા બાદ બે કલાક પછી પ્રિતિદેવી પણ મંદિરે આવી પહોંચ્યા હતા. અને તેમણે પણ પતરી ઝીલવાની વિધિ કરી હતી. આમ વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં આજે સૌ પ્રથમ વખત બે વાર પતરી વિધિ કરવામાં આવી હતી.