મીટરને મરજીયાત કરવાની માગ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘનો કચ્છમાં ઠેર ઠેર વિરોધ...

રાજ્યભરના તાલુકા મથકોએ એક દિવસીય ધરણા કરવાનું એલાન અપાયું હતું...

મીટરને મરજીયાત કરવાની માગ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘનો કચ્છમાં ઠેર ઠેર વિરોધ...

વેબ ન્યૂઝ દુનિયા.કચ્છ : ખેતીવાડીના વીજ જોડાણોમાં મીટરને મરજીયાત કરવાની માગ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યભરના તાલુકા મથકોએ એક દિવસીય ધરણા કરવાનું એલાન અપાયું હતું જેને પગલે કચ્છમાં પણ તાલુકા મથકોએ કિસાનોએ ધરણા યોજ્યા હતા. મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનપત્રમા ફરજીયાત વીજ મીટરનો વિરોધ કરાયો હતો. ધરતીપુત્રોની માગણી નહીં સંતોષાય તો ચોથી જુલાઇએ કલેક્ટર કચેરી સામે કચ્છભરના કિસાનો ધરણા યોજશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. જોકે કિશાન સંઘ દ્વારા આ પ્રકારનો વિરોધ અવાર નવાર કરવામાં આવી ચુક્યો છે ત્યારે આ મામલે પણ કોઈ ચોક્કસ કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. 

ભુજમાં ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા તાલુકાના ખેડૂતોને સંબોધતાં ભારતીય કિસાન સંઘ કચ્છના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ કહ્યું હતું કે, વર્ષ 2002થી મીટર પ્રથા અમલી બની છે એ પહેલાં માત્ર ટેરિફ મુજબ બિલ આપવામાં આવતા હતા. કચ્છમાં ભૂતળ ખૂબ જ ઊંડા હોઇ વારંવાર મોટરની સાથે મીટર પણ બળી જાય છે. મીટરમાં પણ 60 પૈસા અને 80 પૈસા પ્રતિ યુનિટ એમ અલગ અલગ રીતે દર લાગે છે.

મીટર પ્રથા કોઇ રીતે ખેડૂતને પોષાય તેમ ન હોવાથી મરજીયાત કરવી જોઇએ તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, મીટરને મરજીયાત નહીં કરાય તો પ્રદેશના આયોજન મુજબ ચોથી જુલાઇએ કલેક્ટર કચેરી પાસે કચ્છભરના હજારો કિસાનો એક દિવસીય ધરણા કરશે. જિલ્લા કોષાધ્યક્ષ હરજીભાઇ વોરા, ભુજ તાલુકા પ્રમુખ કાનજી ગાગલ, મંત્રી નારાણ વરસાણી, ઉપપ્રમુખ મોહન વેલાણી અને નરસી માકાણી, રમણભાઇ માકાણી, રવજી ચાવડાના નેતૃત્વમાં મામલતદારને આવેદન અપાયું હતું.

મુન્દ્રામાં મામલતદાર ચિરાગ નિમાવત ને પાઠવેલા આવેદનમાં વર્તમાન સમયમાં કિસાનોને મીટર અને હોર્સપાવર બંનેના વીજદરમાં ખાસ્સો તફાવત હોવાથી કિસાનોને મોટું નુકસાન જતું હોવાની લાગણી દર્શાવી ભાવોમાં સમાનતા લાવવાની પ્રબળ માંગ કરાઇ હતી. તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા તળે જિલ્લા પ્રતિનિધિ લખુભાઈ આહીર, તાલુકા પ્રમુખ પ્રેમજી પટેલ, રામજીસેડા, કરસન સાખરા તથા બહોળી સંખ્યામાં તાલુકાના ધરતીપુત્રો જોડાયા હતા.

નખત્રાણા ખાતે એકઠા થયેલા ધરતી પુત્રોએ તાલુકા અધ્યક્ષ પ્રાણલાલ રામજીયાણી, મંત્રી જગદીશ પટેલની આગેવાની તળે મામલતદારને આપેલા આવેદનમાં ખેતીવાડીમાં વીજ મીટર દૂર કરવાની માગ કરાઇ હતી. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં ડાયાભાઇ પટેલ, ભવાનભાઇ લિંબાણી, મણિલાલ પટેલ, કિશોર વાગડિયા, ભવાનભાઇ પટેલ સહિતના અગ્રણીઓની આગેવાની તળે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.