Off The Record : 'સ્વાગત' કાર્યક્રમમાં 'દાદા'નો દબદબો, છાશવારે બોલાવતી VCથી ફિલ્ડના અધિકારીઓ પરેશાન

ગુજરાતના રાજકારણ સાથે સંકળાયેલા નેતા, લોકો અને IAS-IPS સહિતના અધિકારીઓની અવનવી વાતો

Off The Record : 'સ્વાગત' કાર્યક્રમમાં 'દાદા'નો દબદબો, છાશવારે બોલાવતી VCથી ફિલ્ડના અધિકારીઓ પરેશાન

'દાદા' ભુપેન્દ્ર પટેલ સ્વાગત ચુકતા નથી, અન્ય મુખ્યપ્રધાનોની સરખામણીમાં પટેલની રેકોર્ડબ્રેક કામગીરી : ગુજરાત રાજ્યમાં બે દાયકાથી ભાજપની સત્તા છે. નરેન્દ્ર મોદીથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને હાલમાં દાદા તરીકે જાણીતા ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યપ્રધાન તરીકે છે. લોકોની સમસ્યાથી સીધા વાકેફ થવા માટેનો એક કાર્યક્રમ શરુ કરવામાં આવેલો છે. 'સ્વાગત' SWAGAT નામના રાજ્યકક્ષાએ યોજાતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જાતે હાજર રહીને ગુજરાતભરમાંથી આવતા લોકોની સમસ્યા સાંભળે છે. અને ત્યારબાદ જવાબદાર વિભાગ, અધિકારીઓને તેનો નિકાલ કરવાની સૂચના આપતા હોય છે. હવે તમને એમ થશે કે એમાં વળી નવું શું છે ? લોકોની ફરિયાદનો ઉકેલ આવે છે કે નહીં તે બીજા બે નંબરની વાત છે. પરંતુ રાજ્યભરમાંથી આવતા લોકો પોતાની સમસ્યા લઈને જયારે ગાંધીનગર આવતા હોય છે ત્યારે તેમને એક આશા હોય છે. અને જયારે આ લોકોની સમસ્યાને મુખ્યપ્રધાન પોતે સાંભળે ત્યારે તેમનું દુઃખ પચાસ ટકા હળવું થઇ જતું હોય છે. અત્યાર સુધીના ગુજરાતના જેટલા પણ મુખ્યપ્રધાન થયા તેમાંથી એકમાત્ર ભૂપેમ્દ્રભાઈ પટેલ એવા છે જેઓ આ સ્વાગત કાર્યક્રમ ચુક્યા નથી. સંજોગોવસાત જો જેમને કોઈક જગ્યાએ જવું પડે તો તેઓ ત્યારપછી 'સ્વાગત'નું આયોજન કરે છે. અગાઉ જયારે વિજય રુપાણીની સરકાર હતી ત્યારે તેઓ અવાર નવાર સોમ-મંગળવારે તેમના સીએમ બંગલે કામગીરી કરતા હતા. એટલે સ્વાગતમાં તેઓ રૂબરૂ હાજર રહેવાને બદલે કોઈને અધિકૃત કરીને ગાડું ગબડાવી દેતા હતા. અહીં રૂપાણીને એટલા માટે યાદ કાર્ય છે કે, તેમના પછી તરત દાદા ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે આવ્યા છે. રૂપાણીની જેમ અન્ય સીએમ, નરેન્દ્ર મોદી પણ સ્વાગતને આટલું ગંભીરતાથી લેતા ન હતા. યાદ રહે ગુજરાત સરકારના આ અનોખા કાર્યક્રમ સ્વાગતને ISOનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. 

IAS મોના ખંધાર ઉપર રાજ્ય સરકાર મહેરબાન ? પંચાયતની સાથે રેવન્યુ ઇન્સ્પેક્શન પણ આપ્યું : લાંબા સમય પછી ડેપ્યુટેશન બાદ ગુજરાત કેડરના મહિલા IAS ઓફિસર મોના ખંધાર ઉપર રાજ્ય સરકાર મહેરબાન હોય તેવું લાગે છે. પંચાયત વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકેનો નિયમિત હવાલો સાંભળી રહેલા IAS મોના ખંધારને રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર (RIC)નો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. પંચાયત વિભાગના સચિવ તરીકે રાજ્યના તમામ જિલ્લાના DDO ઉપર કંટ્રોલ રાખનારા મોના ખંધારને હવે તમામ જિલ્લા કલેક્ટર ઉપર નિયંત્રણ કરવાની પણ RIC તરીકેની કામગીરી મળી છે. જેન લીધે મહેસુલ વિભાગના ACS મનોજ કુમાર દાસ અસહજ મહેસુસ કરી રહ્યા હોવાનું સ્વર્ણિમ સંકુલમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે બંને IAS ઓફિસર વચ્ચે સારું કહી શકાય તેવું ટ્યુનીંગ નથી એ જગજાહેર વાત છે. મોના ખંધાર પાસે ઓલરેડી IAS વિજય નેહરાના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનો પણ વધારાનો હવાલો તો છે જ. 

રોજેરોજની વિડિઓ કોન્ફ્રન્સ (VC)થી જિલ્લા લેવલે કામ ફિલ્ડના અધિકારીઓ પરેશાન : ટેક્નોલોજીના યુગમાં હવે એકબીજા સાથે વાતચીત કરીને કામ કરવું સરળ બન્યું છે ત્યારે માત્ર કામ દેખાડવાના આશયથી રોજેરોજ બોલાવવામાં આવતી વિડિઓ કોન્ફ્રન્સ (VC)થી જિલ્લા લેવલે કામ ફિલ્ડના અધિકારીઓ પરેશાનીમા મુકાઈ ગયા છે. ચીફ સેક્રેટરીથી માંડીને ગાંધીનગરમાં બેસતા વિભાગાઓના વડાઓ, મંત્રી દ્વારા તેમના વિભાગનાની કામગીરી માટે હાલત ચાલતા VC ગોઠવીને જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને વોટ્સએપમાં લિંક મોકલાવી દેતા હોય છે. ઘણીવાર તો ઓફિસરને ખબર નથી પડતી કે, આ કઈ VC માટેની લિંક આવી છે. યોગ્ય મોનીટરીંગ કરીને સરળ વહીવટના આશયથી ઉભી કરવામાં આવેલી આ સિસ્ટમ હવે જિલ્લા કક્ષાએ વહીવટ ખોરવી નાખતી હોય તેવો તાલ સર્જાયો છે. વારંવાર VC કરવાને કારણે સીએસની મિટિંગની જે એક ગરિમા હોય તે પણ જળવાઈ નથી રહી. 

જેમની કારકિર્દી પણ વિવાદાસ્પદ હતી તેવા વિનય વ્યાસાને સરકાર ખાતાકીય તપાસ કેમ સોંપતી હશે ? : 1983-84માં પાલનપુર પ્રાંત અધિકારી તરીકે ACBની તપાસ  સહિતની વિવાદાસ્પદ હરકતોનો સામનો કરી ચૂકેલા નિવૃત્ત અધિકારી વિનય વ્યાસાને જયારે કોઈ અધિકારીની ખાતાકીય તપાસ કે ખાસ તપાસ સોંપવામાં આવે ત્યારે સમજી જવાનું કે, એ અધિકારીની વિકેટ પાડવાની છે. ગાંધીનગરના તત્કાલીન કાલકેટર લાંગા તેમની તપાસનું લેટેસ્ટ ઉદાહરણ છે. નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી આવતા વિનય વ્યાસનું નામ આવતા જ મોટાભાગના GAS કેડરના ઓફિસર્સ ફીલ ગુડની ફિલીંગ આવતી નથી. મહેસાણા કલેક્ટર તરીકે પણ વ્યાસા ખાસ્સા એવા ચર્ચામાં રહ્યા હતા. કદાચ અત્યાર સુધીમાં સૌથી વધુ ખાતાકીય તપાસનો રેકોર્ડ પણ વિનય વ્યાસા પાસે જ છે. 

IAS લાંગા અને પ્રદીપ શર્મા સામે કડક કાર્યવાહી કરતી સરકાર GAS કેડરના અધિક કલેક્ટર લેવલના ઓફિસર સામે કેમ એક્શન લેતી નથી ? : કચ્છમાં જમીન પ્રકરણમાં સસ્પેન્ડેન્ડ IAS પ્રદીપ શર્મા અને ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર IAS લાંગા સમયે ત્વરિત અને કડક કાર્યવાહી કરતી સરકાર GAS કેડરના એક અધિક કલેક્ટર લેવલના ઓફિસર હનુમંતસિંહ (એચ.એન.) જાડેજા સામે કોઈ કાર્યવાહી નથી કરી રહી. FIRથી લઈને ચાર્જશીટમાં GAS કેડરના આ અધિકારીનું નામ છે. અને તેઓ હજુ પણ ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે. IAS લાંગા જયારે ગાંધીનગરમાં કલેક્ટર હતા ત્યારે જાડેજા લાંબા સમય સુધી અહીં ફરજ બજાવી ચુક્યા છે. જાડેજા સામે એક્શન ન લેવા પાછળ એક ચર્ચા એવી પણ છે કે, તેમનું આ વર્ષના અંત સુધીમાં પ્રમોટી IAS ઓફિસર તરીકેનું નોમિનેશન આવી રહ્યું છે. ઉપરાંત તેમને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પત્રિકા કાંડવાળા પ્રદીપસિંહ વાઘેલાના નજીક માનવામાં આવે છે. કદાચ એટલે જ સરકારની નજર જાડેજા ઉપર નથી પડી રહી, 

સરકાર ધારે તો બધું જ કરી શકે, બે ઝાંબાઝ પોલીસ ઓફિસરને SPનું પ્રમોશન : સરકારમાં જયારે કોઈ સામાન્ય વ્યક્તિ અથવા અધિકારી કે કર્મચારી પોતાની સમસ્યા લઈને જાય ત્યારે કાયદા, નિયમો અને પરંપરાનું નામ આપીને તેમની સમસ્યાનું સમાધાન થતું નથી. પરંતુ રાજ્ય સરકારે જે રીતે પોલીસ વિભાગમાં કામ કરતા બે ઝાંબાઝ નાયબ પોલીસ અધિકક્ષને આઉટ ઓફ ટર્ન એટલે કે નિયમોં અને પરંપરાઓને સાઈડ ઉપર રાખીને SP તરીકેનું પ્રમોશન આપ્યું છે. જેને લઈને સરકારમાં જ એવી ચર્ચા ચાલી છે કે, સરકાર ધારે એ કરી શકે છે. માત્ર ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે. રાજ્ય સરકારે ડેપ્યુટી એસપી રેન્કના પોલીસ અધિકારી ભાવેશ રોજીયા અને કે.કે.પટેલને SP તરીકે પ્રમોટ કાર્ય છે. બંનેની કામગીરી આઉટ સ્ટેન્ડિંગ રહી છે. પટેલ તો આ મહિને નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમનું આ પ્રમોશન કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. ACP ભાવેશ રોજીયાને પ્રમોશન આપીને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જ DCP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાવેશ રોજીયાના ભાઈ જસ્મીન રોજીયા પણ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત ATSમાં ભાઈને પગલે જ ઝાંબાઝ કામગીરી કરી રહ્યા છે. માનીતા અધિકારીઓને જ ગુજરાત સરકાર સાચવે છે તેવા આક્ષેપ સામે કદાચ પહેલી વખત સાચા ઓફિસરની કદર થઇ હોય તેવું અનુભૂતિ આ ઓર્ડરથી થાય છે. 

બોર્ડર રેન્જના આઇજી IPS જે.આર.મોથાલિયાની તપાસ ADG ડૉ. રાવ કરી રહ્યા છે ? : કચ્છના ચર્ચાસ્પદ સોપારી કાંડ અને ત્યારપછીના કરોડો રૂપિયાના તોડકાંડમાં જેમની સામે આક્ષેપો થઇ રહ્યા છે તેવા બોર્ડર રેન્જના આઇજી IPS જશવન્ત મોથાલિયા સામે રાજ્યના ગૃહ વિભાગે તપાસ હાથ ધરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અલબત્ત ગુજરાતના ડીજીપી IPS વિકાસ સહાય પોતે અજાણ હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ ગૃહ વિભાગ અને પોલીસ ભવનમાં ચાલતી ચર્ચા મુજબ, રાજ્ય સરકારે IPS મોથાલિયા સામે તપાસ શરુ કરી છે. આ ખાનગી કે ખાતાકીય તપાસ જેલોના એડિશનલ ડીજીપી ડૉ. કે.એલ.એન.રાવ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો કે ડીજીપી વિકાસ સહાયની જેમ ADG ડૉ.રાવ હા કે ના કઈંજ નથી કહી રહ્યા. સોપારી કાંડમાં પોલીસમાં દ્વારા અત્યાર સુધી બે FIR કરવામાં આવી છે. અને આરોપીઓને ઝડપી લેવાની કામગીરી પણ ચાલી રહી છે. જો કે સૌથી મોટો પ્રશ્ન કે, તોડકાંડના કરોડો રૂપિયા કયા પોલીસ ઓફિસર પાસે છે તેનો જવાબ નથી મળી રહ્યો. 

વધુ 27 ડેપ્યુટી કલેક્ટરને સિનિયર સ્કેલનું પ્રમોશન, 30 અધિક કલેક્ટરને હજુ પોસ્ટિંગ મળ્યું નથી ત્યાં નવા આવ્યા : રાજ્ય સરકારે સોમવારે GAS કેડરના 27 નાયબ કલેક્ટરને અધિક તરીકેનો સિનિયર સ્કેલ આપીને પ્રમોટ કાર્ય છે. થોડા સમય પહેલા 77 જેટલા અધિકારીને આ રીતે જ પ્રમોટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણે હજુ નિયમિત પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. 30 અધિક કલેક્ટર લેવલના ઓફિસર તો હજુ ઘેર બેઠા પગાર લઇ રહ્યા છે. ત્યારે વધુ 27 ઓફિસરને સરકાર કેવી રીતે સેટ કરશે તે પ્રશ્ન છે. જો કે અન્ય ઓર્ડરની જેમ આ કોઈ ચીલાચાલુ હુકમ નથી. કારણ કે આ ઓર્ડરમાં મંત્રીઓ સાથે તેમના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવી રહેલા GAS કેડરના ઓફિસરને સમાવી લેવામાં આવ્યા છે. અને પ્રમોશન પછી પણ તેઓ જૂની જગ્યાએ જ ફરજ બજાવશે તે નક્કી છે. રાજ્યકક્ષાના ગૃહમંત્રીના પર્સનલ આસિસ્ટન્ટ વિજય એન. રબારી સહીત ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોલ્ટના રાજ્યકક્ષાના મંત્રીના OSD આઈ.એચ.પંચાલ, વોટર રિસોર્સ અને નાગરિક પુરવઠા મંત્રીના Addl. PS એસ.ડી.ગીલવા, પ્રવાસન-જંગલ અને કલાઈટમેન્ટ ચેન્જ મંત્રી અધિક PS કે.એસ.મોદીને આ પ્રમોશન ઓર્ડરમાં સમાવી લેવામાં આવ્યા છે. 

સુરેન્દ્રનગર કલેક્ટરની કામગીરી સામે CMOમાં ફરિયાદ થઇ : પ્રી-મેચ્યોર પોસ્ટિંગ મેળવનારા IAS કેયુર સંપટને જયારથી સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારથી કોઈકને કોઈક કારણોસર વિવાદ થઇ રહ્યા છે. મોરબી પુલના આરોપીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા IAS કેયુર સંપટ આ વખતે બે નાયબ મામલતદારની ઇન્ટરનલ ટ્રાન્સફરનો મોમલો છેક CMO સુધી પાહીંચ્યો છે. માત્ર ચાર મહિનાના ફિલ્ડ પોસ્ટિંગ કહી શકાય તેવી DDOની ફરજ બાદ સુરેન્દ્રનગરમાં જ કલેક્ટર તરીકે નિયુક્ત થનારા IAS કેયુર સંપટ મોરબી પુલની દુર્ઘટનામાં સંડોવાયેલા જયસુખ પટેલના ગ્રુપની બિન ખેતીની ફાઈલો જેટલી ઝડપથી કરે છે એટલી સક્રિયતા અન્યમાં દેખાડતા નથી. અને આ મામલે પણ ગાંધીનગરમાં રજુઆત થઇ છે. પૂર્વ મખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયગાળા દરમિયાન તેમનો દબદબો હતો. એટલે જ બહેન જયારે રાજ્યપાલ તરીકે ગુજરાત બહાર ગયા હતા ત્યારે IAS કેયુર સંપટ પણ ભોપાલ ઉપરાંત લખનૌ નોકરી કરી આવેલા છે. પરંતુ હવે બહેનના નજીકના લોકો સામે પણ જે રીતે ઈન્ક્મ ટેક્સની કાર્યવાહી થઇ છે તેને જોતા સંપટ સાહેબ પણ કયાંક સાઈડમાં ગોઠવાઈ જાય તો નવાઈ નહીં.

ભુજમાં સ્કૂટર ઉપર ફરીને ફેમિલી લાઈફ એન્જોય કરી રહેલા કલેકટર અમિત અરોરા : કલેક્ટર અને એસપી દરજજાના અધિકારીઓ જિલ્લામાં હોય ત્યારે તેમને આદરભાવથી જોતા હોય છે. કારણ કે તેમના માટે તો કલેક્ટર અને એસપી જ સરકાર હોય છે. અને એટલે જ આ આદરભાવને લીધે તેઓ કોઈ સામાન્ય કામ કરે તો પણ આપણને તે અસામન્ય લાગે છે. આવું જ કઈંક કચ્છના કલેક્ટર IAS અમિત અરોરાનું પણ છે. તેમના વાઈફ પણ ઉચ્ચ અધિકારી છે અને તેઓ PGVCLના જોઈન્ટ MD તરીકે ભુજમાં જ ફરજ બજાવી રહ્યા છે. આ બ્યુરોક્રેટ કપલ રજાના દિવસે સ્કૂટર ઉપર તેમની દીકરી સાથે ભુજમાં ફરવા જાય છે. એક સામાન્ય વ્યક્તિની જેમ ભુજના રસ્તાઓ ઉપર ફરતા અધિકારી દંપતીને જોઈને ચોક્કસ એમ થાય કે, ગમે એટલું કામનું ભારણ હોય તો પણ જો મન હોય તો પરિવાર સાથે નિરાંતની ક્ષણો માની શકાય છે. હેટ્સ ઓફ અરોરા ફેમિલી...

વિજયાદશમી શસ્ત્ર પૂજામાં યુનિફૉર્મને બદલે સિવિલ ડ્રેસમાં આવ્યા ભુજના એસપી IPS મહેન્દ્ર બગડીયા : દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા તેમના તાબામાં આવતા વિસ્તારો - કચેરીઓમાં વિજયાદશમી શસ્ત્ર પૂજા કરવામાં આવતી હોય છે. જેમાં ડીજીપીથી લઈને એસપી રેન્કના ઓફિસર્સ ભાગ લેતા હોય છે. મોટાભાગે તેમાં પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં હોય છે. બહુ તો વધીને માથે પાઘડી બાંધતા હોય છે. પરંતુ યુનિફૉર્મને બદલે ફૂલ સિવિલ ડ્રેસમાં વિજયાદશમી શસ્ત્ર પૂજા કરવા આવતા પશ્ચિમ કચ્છના ભુજના એસપી  IPS મહેન્દ્ર બગડીયાના ફોટા પોલીસ ભવનમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. અગાઉ તેઓ માતાના મઢ ખાતે તેમના સ્ટાફ સાથે પરંપરાગત વસ્ત્ર પરિધાન કરીને પૂજા કરવા ગયા હતા. સામાન્ય રીતે આ પ્રકારના પ્રસંગમાં પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં જતા હોય છે. 

ભુજ કલેક્ટર ઓફિસમાં અધિકારીની જૂની જોડી તરખાટ મચાવી રહી છે : કચ્છના કલેક્ટર તરીકે IAS અમિત અરોરાએ ચાર્જ લીધો છે ત્યારથી ટેબલ નીચે ચાલતા વ્યવહારો ઉપર અંકુશ જરૂર આવ્યું છે. પરંતુ દરેક કડક પ્રામાણિક અધિકારી સાથે થાય છે તેમ તેમના નામે તેમની જ નીચેના અધિકારીઓ વહીવટ કરી જતા હોય છે. ભુજ કલેક્ટોરેટમાં પણ કઈંક આવું જ થઇ રહ્યું છે. સરકારી જમીનમાં ગરબડ કરવાથી લઈને મહેસૂલના મોટાભાગના વહીવટમાં ભૂતકાળમાં કચ્છમાં એકસાથે કામ કરી ચૂકેલા અધિકારીની એક જોડી તરખાટ મચાવી રહી છે. વર્ષો પહેલા પશ્ચિમ કચ્છમાં સાથે કામ કરતા હોવાનો ઘરોબો હાલમાં ભુજમાં કામ આવી રહ્યો છે. GAS કેડરના ઓફિસર અને મામલતદાર રેન્કના આ અધિકારીની જોડી 'અંડર ટેબલ વહીવટ'માં હાલતરખાટ મચાવી રહી છે. 

સરદાર સરોવર નિગમ 'નિવૃત્ત' અધિકારીઓને ભરોસે, પૂર જેવી સ્થિતિ આવે તો કોની જવાબદારી ? : ચોમાસા દરમિયાન 17મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નિગમ દ્વારા ડેમથી પાણી છોડવાનો મુદ્દો બ હાલે હવે શાંત થઇ ગયો છે પરંતુ નિગમમાં વહીવટ નિવૃત્ત અધિકારીઓ દસવાર કરવાને મામલે નિગમ સહીત સરકારમાં પણ આ મામલે ખાસ્સી એવી ગડમથલ ચાલી રહી છે. અનુભવી અધિકારોની લ્હાયમાં વર્ષોથી કેટલાક ઓફિસર્સ તેમની નોકરી રીન્યુ કફરાવી રહ્યા છે. પરિણામે જે યુવાન અને અનુભવ લેવા માંગે છે તેવા અધિકારીઓને જોઈએ એટલી તક મળતી નથી. નાદપરા અને વ્યાસ નામના અધિકારીઓ ઉપરાંત મસમોટું લિસ્ટ છે નિગમમાં, જેઓ નિવૃત્તિ પછી પણ નોકરી કરી રહ્યા છે.