બંગાળને મુદ્દે બુમરાણ કરતા લોકોની મહિલાઓ ઉપરના અત્યાચારની ઘટનાઓમાં 'સિલેક્ટીવ' સક્રિયતા, યાદ કરો જયારે ગુજરાતના કચ્છને ભાજપે બળાત્કારીઓની ભૂમિ બનાવેલી

બંગાળની ઘટનાના આરોપીઓને કોઈ કાળે ન છોડવા જોઈએ-આકરી સજા થવી જોઈએ પણ સાથે સાથે આવી ઘટના ફરીથી ન થાય તે જોવું પણ જરૂરી, જાણો ભૂતકાળમાં ગુજરાતના કચ્છમાં કેવા કાંડ થયા હતા...

બંગાળને મુદ્દે બુમરાણ કરતા લોકોની મહિલાઓ ઉપરના અત્યાચારની ઘટનાઓમાં 'સિલેક્ટીવ' સક્રિયતા, યાદ કરો જયારે ગુજરાતના કચ્છને ભાજપે બળાત્કારીઓની ભૂમિ બનાવેલી

WND Network.Ahmedabad : પશ્ચિમ બંગાળમાં એક તબીબ વિદ્યાર્થીની ઉપર બળાત્કારની ઘટનાથી આખો દેશ હતપ્રભ છે. દેશમાં સૌ કોઈ આ મામલે ગુસ્સામાં છે. અને હોવા જ જોઈએ. દિલ્હીની નિર્ભયા ઘટના વખતે પણ આવો જ ગુસ્સાનો માહોલ હતો. પરંતુ અફસોસની વાત એ છે કે, થોડા દિવસ બાદ આ મામલો પણ નિર્ભયા જેવી અન્ય ઘટનાઓની જેમ બંગાળની ઘટના પણ આપણે ભૂલી જઈશું. હંમેશની જેમ આ વખતે પણ સત્તા પક્ષ ભાજપે આ મુદ્દાને આખા દેશમાં ચગાવીને રાજરમત શરૂ કરી છે. ગુજરાતમાં પણ ભાજપના અનેક નેતાઓએ નિવેદનો આપ્યા અને વિરોધ કર્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપના અમુક નેતાઓએ કેવી રીતે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છને બળાત્કારની ભૂમિ કઈ રીતે બનાવી હતી તે પ્રશ્ન ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાત સહીત દેશની રાજનીતિમાં પણ જેના પડઘા પડયા હતા તે સમગ્ર ઘટનાક્રમમાં કયારે શું બન્યું હતું તે અંગે સિનિયર જર્નાલિસ્ટ દિલીપ પટેલનો આ વિસ્તૃત અહેવાલ સૌ કોઈની આંખ ઉઘાડે તેવો છે.

કચ્છ ભાજપના એક નેતા સામે બળાત્કારની ફરિયાદ દિલ્હીમાં નોંધાઈ હતી. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે દિલ્હીની એક મહિલાએ તેમની સાથે આચરવામાં આવેલું કૃત્ય જાહેર કર્યું હતું. તેથી કચ્છમાં થઈ રહેલાં ભાજપના વ્યભિચારની વધુ કથા તે વખતે બહાર આવી હતી. અગાઉ પણ કચ્છમાં આવા કેટલાંક બનાવો બન્યા હતા. જેમાં બે યુવતિઓએ સમાધાન કરી લીધું હતું. રાજનેતા છબીલ પટેલ સામે આક્ષેપો થયા હતા ત્યારે રાજકારણ કેવું ખરાબ થઈ ગયું છે તેવી ચારે બાજુ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. 

કચ્છ જિલ્લાના બહુચર્ચિત એવા નલિયા કાંડમાં જે તે સમયે કચ્છ ભાજપ સહીત રાજ્યના BJPના નેએતો સામે પણ છાંટા ઉડ્યા હતા. નલિયા સામુહિક બળાત્કાર કાંડમાં ભાજપની અનેક કાર્યકરો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડની તપાસ શંકર ચૌધરીને સોંપવામાં આવી હતી અને તપાસ પર ફીંગલું વાળી દેવાયું હતું. આ સમગ્ર કાંડમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલાં હોવાથી ગુજરાત પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોવાનું ચર્ચાયું હતું (હાલમાં કોલકાતા પોલીસની જેમ). સમગ્ર પ્રકરણમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલા હોવાતી તેના પર પડદો પાડી દેવામાં આવ્યો  હતો. 

નલિયા કાંડ બાદ કચ્છના વધુ ભાજપના નેતાનું અન્ય એક દુષ્કર્મ કેસમાં નામ આવતા કચ્છ અને રાજયના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. ભાજપના રાજમાં લૂંટફાટ અને બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે એવો આરોપ જે તે સમયે વિરોધ પક્ષ ભાજપ ઉપર મુક્યો હતો. ભાજપના શાસનમાં જ નલિયાકાંડ થયો હતો અને ત્યારબાદ સુરત કાંડ થયો હતો.  ગુજરાતમાં બહેન- દીકરીઓ અને મહિલાઓ સલામત નથી એવું કોંગ્રેસે જાહેર નિવેદન પણ કર્યું હતું. ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, એવા આરોપ પણ વિરોધ પક્ષ તરફથી થઈ રહ્યાં છે. ત્યારે કચ્છ ભાજપના નેતાઓ અને ભાજપની કાર્યકર યુવતી પર થયેલાં બળાત્કાર કેસ અને સુરતની યુવતી સાથે ભાજપના તત્કાલીન ઉપપ્રમુખે કરેલો બળાત્કાર વચ્ચે અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે શું સંબંધ હોઈ શકે તેની અહીં સુરતના બળાત્કારની સીલસીલા બંધ વિગતો આપી છે. પોલીસ જો સારી રીતે તપાસ કરે તો તેમાં અનેક નેતાઓના નામ બહાર આવે તેમ છે. પણ પોલીસ પ્રત્યે પહેલેથી જ શંકાની બીજ રોપાઈ ગયા છે.

કચ્છ ભાજપના તે નેતા સામે આજ સુધી ત્રણ યુવતીએ ફરિયાદ કરી છે અને અમદાવાદ તથા નલિયા કાંડમાં તેની સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.  વાપી, નડિયાદ, સુરત, નલિયા, અમદાવાદમાં દુષ્કર્મની સળંગ ઘટના બની હતી. 21 વર્ષની વિદ્યાર્થિની પર ભાજપના નેતા દ્વારા અમદાવાદમાં ગુજારેલા બળાત્કાર અંગે ફરિયાદ કરી હતી. આ પ્રકરણ પણ નલિયાકાંડ કરતાં પણ વધું વ્યાપક નિકળે એવું લાગી રહ્યું હતું. ભોગ બનનાર યુવતીના સંકેત અને ભાજપના નેતાઓના ભેદી વલણ તો એવું જ દર્શાવી રહ્યા હતા. પણ પાછળથી નિવેદન બદલી ને ગુનો પરત ખેંચી લીધો હતો. કચ્છ ભાજપના હોદ્દાદાર પદેથી રાજીનામું લઈ લીધા બાદ હવે ભાજપના નેતાઓ તે નેતાને પક્ષમાંથી હાંકી કાઢવા તૈયાર ન હતા.  ભાજપના નેતાઓ પણ કોઈક અજાણ્યા ભયના કારણે તેમને છાવરવાનું શરૂ કર્યું હતું. પક્ષમાં રાખીને તેમને અગમ્ય કારણોસર રક્ષણ આપી રહ્યાં છે. જો ભાજપના નેતાઓમાં સહેજ પણ લાજ શરમ હોય તો તુરંત તેમને ભાજપમાંથી હાંકી કાઢવા જોઈએ, એવું પક્ષના કાર્યકરો અને સરકારના અધિકારીઓ માની રહ્યાં હતા.

આ ઘટનામાં ત્યાર પછી તો એવા ઉતાર ચઢાવ આવ્યા હતા કે, જેને જોઈને - સાંભળીને એમ જ લાગતું હતું કે, ગુજરાતમાં, ખાસ કરીને કચ્છમાં જાહેર જીવનમાં આવવા માંગતી કે મદદ માટે રાજનેતાઓ પાસે જતી જરૂરિયાતમંદ મહિલાઓની કોઈ સુરક્ષા નથી. 

મહિલા અત્યાચારના કેસમાં જાતિ અને ધર્મ પણ મહત્વ ધરાવે છે ! : અત્યાચારનો મામલો હોય ત્યારે મહિલા એટલે મહિલા જ હોવું જોઈએ, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. જેનો તાજો દાખલો બિહારમાં બનેલી ઘટનાનો છે. જેમાં પીડિત મહિલા અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં બિલ્કીશ બાનું કેસનો મામલો જ જોઈ લો ને. જેમાં આરોપીઓને ગુજરાતની ભાજપ સરકારે માફી આપીને મુક્ત દીધા હતા. જેલમાંથી છૂટ્યા પછી આ આરોપીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તો સારું થજો સુપ્રિમ કોર્ટનું જેણે તાત્કાલિક એક્શન લઈને આરોપીઓને ફરીથી જેલમાં ધકેલી દીધા હતા.   

મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને ગુજરાત : પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પર થયેલા અત્યાચારની ચર્ચા આખા ગુજરાતમાં છે. ભાજપના સત્તાધીશો આ મુદ્દો ગુજરાતમાં ઉછાળી રહ્યાં છે કારણ કે, બંગાળમાં TMC મમતા બેનર્જીની સરકાર છે, ભાજપની સરકાર નથી. ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે મહિલાઓ પર કેવો અત્યાચાર થઇ રહ્યાં છે તે અંગે ભાજપના નેતાઓ મૌન છે. આંખ અને કાન બંધ કરીને ગાંધીનગર અને દિલ્હીમાં બેસી ગયા છે. ગુજરાતમાં મહિલાઓ પર કેવા અત્યાચાર થઇ રહ્યાં છે તેની વિગતો કંપાવી દે એવી છે. તે અંગે ભાજપના નેતાઓ કંઈ બોલવા તૈયાર નથી.

ગુજરાતમાં મહિલાઓ વિરૂધ્ધ થતા અત્યાચારોની સામે ફરિયાદ કરવા 181 અભયમ્ હેલ્પલાઇન 4 ફેબ્રુઆરી 2014માં શરૂ થઈ ત્યારથી 2019 સુધીમાં 52 લાખ કોલ અને 2014થી 2024ના 10 વર્ષમાં 1 કરોડ ફોન મળ્યા છે.

રોજના 3500 બનાવો મહિલા સામે બની રહ્યા છે. 2013 પહેલા પોલીસમાં મહિલા કર્મચારી 33 ટકા ન હતા ત્યારે રોજના 11 હજાર ઘટનાઓ મહિલાઓ સામેની બનતી હતી તે ફોન કોલ હતા. પણ ખરેખર પોલીસમાં તો રોજના સરેરાશ 22 ગુના નોંધાતા રહ્યાં છે.

ગુજરાતમાં રાજ્યના ગૌરવને લાંછન લગાડતી બળાત્કાર-દુષ્કર્મની ઘટનાઓને રોકી શકાતી નથી, કોઈને ભય નથી. તાલાળા તાલુકામાં 9 વર્ષની માસૂમ દીકરીનો વધ કરવામાં આવે, સુરતમાં 13 વર્ષની દિવ્યાંગ દીકરી સાથે અડપલાં થાય, રાજકોટમાં કન્યા છાત્રાલય બહાર અવારનાર છેડતી થાય અને ફરિયાદ બાદ પણ તંત્ર ઊંઘતું રહે છે. જો ખરેખર આવું હોય તો બંગાળ અને ગુજરાતમાં શું ફરક છે ? 

ભાજપ સરકારનાં શાસનમાં દીકરી-મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે. 2 વર્ષમાં ગુજરાતમાં 3796 બળાત્કાર અને 61 ગેંગરેપની ઘટના નોંધાઈ હતી. ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ 729 બળાત્કારની ઘટના અને 16 જેટલી ગેંગરેપની ઘટનાઓએ ભાજપની મહિલા સુરક્ષાની સૂફીયાણી વાતોની પોલ ખોલી નાખતી ઘટનાઓ બનેલી છે

‘નિર્ભયા ફંડ’ જેવું અલાયદુ મોટુ ફંડ ફાળવવામાં આવ્યું. ભાજપ સરકારના શાસનમાં નિર્ભયા ફંડનું ઉપયોગ થતો હોય તેવુ જણાતું નથી. મહિલા - દિકરીઓ પર થઈ રહેલા એસીડ એટેક, ડોમેસ્ટીક વાયોલન્સ, બળાત્કાર, ગેંગરેપ, અપહરણ, છેડતી, દહેજ માટે સતામણી, સહિતના ગંભીર ગુન્હાઓ વધી રહ્યાં છે. જે દર્શાવે છે કે, ભાજપ સરકારમાં મહિલા - દિકરીઓ સુરક્ષીત નથી.