ભુજમાં ધોળે દિવસે જાહેર માર્ગ ઉપર ફેંકી દેવાયેલી લાશ મહિલાની નીકળી, જાણો કેવી રીતે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યાં...

હ્યુમન સોર્સ-ટેક્નિકલ સર્વેલન્સને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં રહસ્ય ઉકેલ્યું

ભુજમાં ધોળે દિવસે જાહેર માર્ગ ઉપર ફેંકી દેવાયેલી લાશ મહિલાની નીકળી, જાણો કેવી રીતે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યાં...

WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં શુક્રવારે જાહેર માર્ગ ઉપર કોઈ લાશ ફેંકી જવાના મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ કેસનું રહસ્ય ખોલી નાખ્યું હતું. ભુજ તાલુકાના કોટડા ચકાર ગામના એક પરિવારમાં વહુને મારીને તેની લાશને ફેંકી દેવાનો મામલો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં કરવામાં આવ્યો હતો. શુક્રવારે ભુજના જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ નંબર બે ની બરાબર સામે એક અજાણી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ધોળે દિવસે લાશ મૂકીને ભાગી જવાની ઘટનામાં પોલિસે ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી કેસને ગણતરીના કલાકોમાં સોલ્વ કરીને આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા. 

શુક્રવારે સાંજે ચારેક વાગ્યના અરસામાં ભુજના જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ નંબર બે ની બરાબર સામે છકડામાં બીમાર એક વ્યક્તિને ઉતારવામાં આવી હતી. નાળિયર વેંચતા રેંકડીવાળાને થોડીવારમાં આવી એ છીએ એમ કહીને તેના પરિવારજનો ભાગી ગયા હતા. જેને પગલે નાળિયર વેંચતા રેંકડીવાળાએ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને આ અંગે જાણ કરતા બીમાર વ્યક્તિ મહિલાની લાશ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પશ્ચિમ કચ્છના એસપી સૌરભસીંગ દ્વારા લોકલ પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ કામે લગાડવામાં આવી હતી. 

લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશને પોસ્ટમોર્ટમ મોકલવાની સાથે ઇન્વેસ્ટિગેશન શરુ કરી દીધી હતી. જાહેર માર્ગ ઉપરના સીસીટીવી ફૂટેજની સાથે સાથે લાશને લઇ આવનાર છકડાવાળાની ઓળખ મેળવતા પોલીસને ગણતરીના કલાકો લાગ્યા હતા. જેમાં હકીકત બહાર આવી કે, ભુજ તાલુકાના કોટડા ચકાર ગામના એક પરિવારમાં ડખો થવાને પગલે ઘરની વહુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જેમાં તેના પતિ ઉપરાંત સાસુ તેમજ દિયર પણ સામેલ હતા. વહુને માર્યા પછી તેઓ તે બીમાર છે એવું બહાનું કાઢીને તેની લાશને ભુજ લઇ આવ્યા હતા. અને જી.કે.જનરલ હોસ્પિટલ સામે લાશને ફેંકી દીધી હતી. 

બીમારીને બહાને લાશ રોડ ઉપર મૂકી દીધી : છકડામાં લાશને લાવીને તેના પરિવારજનોએ જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ નંબર બે ની બરાબર સામે લાશને ઉતારી દીધી હતી. રોડ ઉપર નાળિયેરીવાળાને થોડીવાર ધ્યાન રાખવાનું કહીને તેનો પતિ, સાસુ તથા દિયર ભાગી ગયા હતા. લાંબા સમય સુધી કોઈ ન આવતા માનવતા ધર્મને નિભાવતા સામે આવેલી જી.કે.જનરલ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને આ અંગે જાણ કરતા બીમાર વ્યક્તિ મહિલાની લાશ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ખુબ જ સંયમ અને કુનેહથી સમગ્ર મામલાને પર પાડીને રેંકડીવાળાથી માંડીને છકડાવાળા સુધીની તપાસ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ કરીને સમગ્ર ઘટનાનું રહસ્ય શોધી કાઢ્યું હતું.