અગ્નિવીર યોજના ઇન્ડિયન નેવી અને એરફોર્સ માટે સાવ અચાનક રીતે તેમની ઉપર થોપી દેવામાં આવી હતી ? જાણો શા માટે પૂર્વ સેનાધ્યક્ષ નરવણેનું પુસ્તક પબ્લિશ થતું અટકાવી દીધું છે ?

વર્ષ 2020માં ચીની સેના ટેન્કના કાફલા સાથે LAC ઉપર રેચીન લા તરફ આગળ વધી રહી હતી ત્યારે સૈન્ય કાર્યવાહી અંગેનો અંતિમ નિર્ણય PMOએ સેના ઉપર નાખી દીધો હતો

અગ્નિવીર યોજના ઇન્ડિયન નેવી અને એરફોર્સ માટે સાવ અચાનક રીતે તેમની ઉપર થોપી દેવામાં આવી હતી ? જાણો શા માટે પૂર્વ સેનાધ્યક્ષ નરવણેનું પુસ્તક પબ્લિશ થતું અટકાવી દીધું છે ?

WND Network.New Delhi : ભારે વિરોધ અને વિવાદ છતાં કેન્દ્રની મોદી સરકારે જે અગ્નિવીર યોજનાને અમલમાં મૂકી હતી તે ઘટના જે તે સમયે ભારતીય વાયુસેના (Indian Airforce) અને ભારતીય નૌ-સેના (Indian Navy) માટે સાવ અચાનક બનેલી ઘટના સમાન હતી. તેને રીતસરની થોપી દેવામાં આવી હોય તેવી ઘટના હતી. આ વાત કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ભારતીય સેનાના 28મા ચીફ ઓફ આર્મી સ્ટાફ રહી ચૂકેલા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ(General M M Naravane)કહી છે. તેમણે આ હકીકતનો ખુલાસો તેમની આત્મકથા સ્વરૂપે લખવામાં આવેલા પુસ્તક ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની (Four Stars of Destiny)માં કર્યો છે. તેમણે અગ્નિવીર યોજના ઉપરાંત વર્ષ 2020માં ચીની સેના ટેન્કના કાફલા સાથે LAC ઉપર રેચીન લા તરફ આગળ વધી રહી હતી ત્યારે સૈન્ય કાર્યવાહી અંગેનો અંતિમ નિર્ણય PMO દ્વારા સેના ઉપર નાખી દેવામાં આવ્યો હતો અને તે વખતે તેમની હાલત કેવી થઇ ગઈ હતી તેનો પણ ખુલાસો કર્યો છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા અગ્નિવીર સહીત ચીનનો મામલો કેન્દ્રની મોદી સરકાર માટે મોટી મુસીબત સર્જી શકે તેવી સંભાવના ને પગલે પૂર્વ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેનું પુસ્તક અટકાવી દેવામાં આવ્યું હોવાનુ માનવામાં આવી રહ્યું છે. 

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) દ્વારા સૌ પ્રથમ વખત જનરલ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની'ના અંશો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. મીડિયામાં પુસ્તક અંગે આવેલા ન્યૂઝને જોઈને એમ લાગે છે કે, બુક તૈયાર થઇ ગઈ છે અથવા તો તેના અંતિમ ચરણમાં છે. પુસ્તક લખતા પહેલા જનરલ કક્ષાના સિનિયર મોસ્ટ ઓફિસર દ્વારા સરકારની મંજૂરી લેવામાં ન આવી હોય તેવું શક્ય નથી. તો પછી મંજૂરીના નામે જનરલનું પુસ્તક શા માટે પ્રસિદ્ધ થતા અટકાવી દેવામાં આવ્યું છે તે અંગેનો વિવાદ થઇ રહ્યો છે. PTI સહિતના મીડિયામાં આવેલા રિપોર્ટ મુજબ, ખુદ ભારતીય સેના અગ્નિવીર યોજનાની જાહેરાતથી ચોંકી ઉઠી હતી. કારણ કે અંગે સેનાને જોઈએ એટલી જાણ ન હતી. અગ્નિવીર યોજનાનો પોલિટિકલી સરકારમાંથી લેવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ સરકારે જયારે અગ્નિવીર યોજના હેઠળ ભરતી થતા યુવાનો માટે મહિને વીસ હજાર રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે સેનાએ તેનો વિરોધ કરીને ત્રીસ હજાર રૂપિયા કરાવ્યા હતા. 

નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની' મુજબ તેઓ અગ્નિવીર યોજના હેઠળ ચાર વર્ષ માટે રીક્રુટ થતા જવાનોમાંથી 75 ટકા જવાનોને સેનામાં રાખવા માંગતા હતા. જયારે સરકાર માત્ર 25 ટકા જવાનોને રાખવા માંગતી હતી. સૌથી વધુ ચોંકાવનારી હકીકત ભારતીય વાયુસેના અને નૌકા દળ માટે હતી. તેઓ તો સાવ આ યોજના માટે સાવ અંધારામાં હતા. પરંતુ સરકારે તે સમયે પોતાના મળતિયા અધિકારીઓ તેમજ ગોદી મીડિયાને સહારે યોજનાને અમલમાં મૂકી દીધી હતી ત્યારે ભારત જેવા લોકશાહી દેશમાં ફોર્સને આ વાત સ્વીકાર કરવા સિવાય કોઈ છૂટકો જ ન હતો. સેનાને અંધારામાં રાખીને પાછલા બારણે PMO થકી અસ્તિત્વમાં આવેલી અગ્નિવીર યોજના આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ માટે મોટો પ્રશ્ન બનીને સામે આવી શકે તેમ દેખાતા મંજૂરીને બહાને જનરલ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની'ને અટકાવી દેવામાં આવ્યું છે. હવે આ પુસ્તક પ્રસિદ્ધ થશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. 

ચીન સાથેના સંઘર્ષ વખતે ભારતીય સેનાને સાવ એકલી મૂકી દેવામાં આવી હતી ?: માત્ર અગ્નિવીર યોજના જ નહીં પરંતુ ચીન સાથેના લોહિયાળ સંઘર્ષ વખતની નાજુક સ્થિતિ વખતે સેનાની પડખે ઉભા રહીને તેનો ઉત્સાહ વધારવાને બદલે તેને સાવ એકલી મૂકી દીધી હતી તેવો આડકતરો એકરાર પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ રહી ચૂકેલા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ(General M M Naravane) તેમના પુસ્તકમાં કઈંક આ રીતે કર્યો છે. " 31મી ઓગસ્ટ,2020ના દિવસે ચીની સેનાનાઓ ટેન્કનો કાફલો મોટી સંખ્યામાં ભારત તરફ રેચીન લા નામના સ્થળ તરફ આગળ વધી રહ્યો હતો. એટલે તરત જ તેમણે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહનો સંપર્ક કરીને સમગ્ર સ્થિતિથી વાકેફ કાર્ય હતા. એ રાતે રક્ષા મંત્રી રાજનાથ સહીત વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોવાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વચ્ચે સ્ટેટ કોલ ચાલી રહ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે વાત કર્યા પછી તેમના મનમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા. તેમણે રાજનાથને ચીન સાથેની બોર્ડર ઉપર ઉભી થયેલી સ્થિતિ અંગે ખુબ જ ગંભીરતાપૂર્વક વાત કરીને પરિસ્થિતિની ગંભીરતા અંગે વાકેફ પણ કર્યા હતા. એટલે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે તેમને રાતે 10.30 વાગે ફરીથી કોલ કરવાનું કહ્યું હતું." 

જયારે ફરીથી એ રાતે રક્ષા મંત્રી રાજનાથનો કોલ આવ્યો ત્યારે તેમણે જે કહ્યું તે સાંભળીને તેમને એવું લાગ્યું હતું કે, જાણે એક સળગતી કુહાડી તેમના હાથમાં મૂકી દેવામાં આવી છે. રાજનાથસિંહ તરફથી જનરલને કહેવામાં આવ્યું કે, "વડાપ્રધાન મોદી સાથે વાત કરવામાં આવી ચુકી છે અને આ સમગ્ર મામલો સંપૂર્ણ રીતે સેનાનો છે તેમ કહીને યોગ્ય નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું. હવે સમગ્ર જવાબદારી તેમના ઉપર હતી. તેમના શ્વાસ સ્પીડથી ચાલી રહ્યા હતા. તેમને માત્ર ઘડિયાળની ટીક ટીક જ સંભળાઈ રહી હતી. 

સેના અને તેની વરદીનો ઉપયોગ માત્ર પોતાના સ્વાર્થ માટે જ ઉપયોગ કરવાનો ? : અગ્નિવીર યોજના અંગે જનરલની પુસ્તકમાં થયેલી બાબત અંગે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહીતના લોકો જે તે સમયે મુદ્દો ઉઠાવી ચુક્યા છે. ત્યારે તેમને સેના વિરોધી તરીકે ચીતરી દેવામાં આવ્યા હતા. સેનાના પૂર્વ અધિકારીઓ પણ આ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે એક યક્ષ પ્રશ્ન એ થાય છે કે, શું સેના અને તેની વર્દીનો ઉપયોગ ભારતના લોકોને ઈમોશનલ કરવા માટે જ થાય છે. નકલી રાષ્ટ્રવાદની આડમાં કેન્દ્રની મોદી સરકાર માત્ર તેમનો સ્વાર્થ જોતી હોય છે ?